ગુજરાત સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના કુલ ૧૪૪ માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમાંથી ૨૨ માછીમારો છેલ્લા બે વર્ષમાં ધરપકડ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “બે વર્ષમાં ૧૪૪ માછીમારોમાંથી કુલ ૨૨ માછીમારોને પાકિસ્તાને પકડ્યા હતા. આમાંથી, 2023 માં નવ અને 2024 માં 13 માછીમારો પકડાયા હતા.
છેલ્લા 2 વર્ષમાં 432 ભારતીય માછીમારોને મુક્ત કરાયા
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી ઘણીવાર ગુજરાતના માછીમારોની અટકાયત કરે છે અને તેમના પર અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સીમા રેખા (IMBL) પાર કરીને પાકિસ્તાની પાણીમાં પ્રવેશવાનો આરોપ લગાવે છે. મંત્રીએ વિધાનસભાને એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં 432 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે જ્યારે જાન્યુઆરી 2025 સુધીમાં 144 માછીમારો તેની કસ્ટડીમાં હતા.
કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્યો હતો પ્રશ્ન
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા ઉઠાવવામાં આવેલા સંબંધિત પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024 સુધીમાં 1,173 ભારતીય બોટ પણ પાકિસ્તાનના કબજામાં હતી અને તેમાંથી એક પણ છેલ્લા બે વર્ષમાં દેશમાં પરત કરવામાં આવી નથી. પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં નિયમિત અંતરાલે આ માછીમારોની મુક્તિ માટે જરૂરી દસ્તાવેજો અને રાષ્ટ્રીયતાના પુરાવા ગૃહ મંત્રાલયને સુપરત કર્યા છે.